Tuesday, April 14, 2020

માનવ શરીર ની અજાયબી

     એક દોડવીર દોડતી વખતે ૪ કપ એટલે કે આશરે ૩૦૦ મિલિ જેટલો પરસેવો એક કલાકમાં વહાવી દે છે.

     જ્ઞાનતંતુઓમાં ૨૫૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે માહિતી પ્રસરે છે. દરેક માનવશરીરમાંથી એક એવો ઝીણો આછો પ્રકાશ નીકળે છે. જેને માનવ આંખો જોઈ શકતી નથી.
     પુખ્ત માણસની રક્તવાહિનીઓને એકબીજા સાથે જોડવામાં આવે, તો પૃથ્વીના વિષુવવૃત્તને ચારવાર ચક્કર મારી શકે

શરીરમાં લોહી પહોંચાડતી રકતવાહીનીની અદભુત રચના

       હૃદય સતત ધબકતું રહી આખા શરીરમાં લોહી પહોંચાડે છે. શરીરમાંથી અશુધ્ધ થયેલું લોહી પાછું હૃદયમાં આવે છે.લોહીને શરીરમાં ફરતું રાખવા રક્તવાહિનીનું સુઆયોજિત તંત્ર છે. હૃદયમાંથી લોહીને બહાર નિકળવા ધમની હોય છે. ધમનીમાંથી અલગ અલગ ફાંટા પડી નાની નળીઓ બને છે. 
       આ રક્તવાહિનીની રચના અને કામ ગજબ છે. હૃદયના ધબકવાથી લોહીને ધક્કો લાગે અને લોહી નળીમાં આગળ વધે. રક્તવાહિનીમાં લોહી એક તરફ જ આગળ વધે તે માટે  સુક્ષ્મ વાલ્વ હોય છે. પગમાંથી અશુધ્ધ લોહી ઉપરની તરફ ચડે પણ પાછું ઉતરે નહીં તેવા વાલ્વ હોય છે.
        હૃદયમાંથી શુધ્ધ લોહી લઈ જનારી નળીને ધમની અને અશુધ્ધ લોહી હૃદય તરફ લાવનારી નળીને શિરા કહે છે. ચામડી નીચે દેખાતી લીલી નસો એ શિરાઓ છે. ધમની જાડી હોય છે તેમાં ફાંટા પડી સુક્ષ્મ રક્તવાહિની બને તેના છેડે શરીરના કોશો સાથે લોહીમાંથી પોષક દ્રવ્યો અને ઓક્સિજનની લેવડદેવડ થાય છે. અને લોહી અશુધ્ધ થઈ શીરા દ્વારા હૃદય તરફ જાય છે.

લોહચુંબક કેવી રીતે બને છે ? તેના જુદા જુદા ઉપયોગ અને આકાર

    લોખંડની વસ્તુઓને આકર્ષીને પોતાની તરફ ખેંચતા લોહચુંબક કે મેગ્નેટ એ લોખંડનો ટુકડો જ છે પરંતુ તેમાં ચુંબકીય શક્તિ હોય છે. આ શક્તિ કેવી રીતે આવે છે તે જાણો છો? વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાય છે.

   આ ક્ષેત્રમાં લોખંડનો ટુકડો મુકવામાં આવે તો લોખંડના અણુઓ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જાય છે અને તે ચુંબક બની જાય છે. ચુંબક બે રીતે બને છે અને બે પ્રકારના હોય છે. લોખંડની આસપાસ ધાતુના તારનું ગુંચળું વીંટાળી તેમાં વીજળી દાખલ કરવાથી તે કામચલાઉ ચુંબક બને એટલે કે વીજપ્રવાહ હોય ત્યાં સુધી તે ચુંબકનો ગુણ રહે છે.

   મોટા ચુંબકને બીજા લોખંડ સાથે એક જ દિશામાં ઘસવાથી લોખંડનો ટુકડો ચુંબક બને છે અને તે કાયમી ગુણ ધરાવે છે. ચુંબકના ટુકડાનો એક છેડો દક્ષિણ અને બીજો ઉત્તર ધ્રુવ કહેવાય છે. ચુંબકના આ ગુણનો ઉપયોગ ઘણા ઈલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. દિશા બતાવતાં હોકાયંત્ર, ડોરબેલ, સ્પીકર, ઈલેક્ટ્રીક મોટર, જનરેટર, ડાયનેમો વગેરે સાધનોમાં ચુંબક મુખ્ય ભાગ છે.       
   મેગ્નેટ એટલે કે લોહચૂંબકનો મુખ્ય ગુણ લોખંડની ચીજોને આકર્ષવાનો છે. તેને સ્વતંત્ર રીતે ફરે તેવી રીતે રાખવાથી તેનો એક છેડો દક્ષિણ અને બીજો ઉત્તર દિશામાં રહે છે. ઈલેક્ટ્રોનિક સાધનોમાં મેગ્નેટનો વ્યાપક ઉપયોગ થાય છે. જુદા જુદા હેતુ માટે વિવિધ આકારના મેગ્નેટ વપરાય છે. 
બાર મેગ્નેટ: લાંબી પટ્ટી આકારના બાર મેગ્નેટની ક્ષમતા ઓછી હોય છે. આ મેગ્નેટ દિશાસૂચન માટે હોકાયંત્રમાં વપરાય છે. ફ્રિઝના બારણા વગેરે સાધનોમાં બે સપાટીને જકડી રાખવા પણ ઉપયોગી છે.
હોર્સ શૂ મેગ્નેટ: ઘોડાની નાળ આકારના આ મેગ્નેટ અર્ધગોળાકાર પટ્ટી જેવા હોય છે. તેના બંને છેડા એક જ દિશામાં હોય છે. આ મેગ્નેટ શક્તિશાળી હોય છે. કચરામાંથી લોખંડની ચીજો અથવા લોખંડની વજનદાર વસ્તુ ઉંચકવા તેનો ઉપયોગ થાય છે.
કોઈલ મેગ્નેટ: કોઈલ કે વલયાકારના આ મેગ્નેટને હેલિકલ કોઈલ કે ઈલેક્ટ્રો મેગ્નેટ કહે છે. તે કાયમી નથી પણ ઈલેક્ટ્રિક વડે પ્રવાહ મળે ત્યારે સક્રિય થાય છે. સીડી પ્લેયર, કમ્પ્યુટરની હાર્ડડિસ્ક, ઓટોમેટિક બારણા વગેરેમાં આ મેગ્નેટ વપરાય છે.

Monday, May 2, 2016

મકાનો બાંધવામાં વપરાતી ઇંટ વિશે આ જાણો છો ?

             મકાનની દીવાલ ચણવા માટે પથ્થર શ્રેષ્ઠ માધ્યમ છે  અને તે જમીનમાં મેળવીને સીધો જ ઉપયોગ કરી શકાય છે. પ્રાચીન મકાનો અને કિલ્લાઓ પથ્થર વડે જ બનેલા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઇપૂર્વકનું બનાવવા માટે ઇંટનો ઉપયોગ શરૃ થયો. માટીની બનેલી લંબચોરસ ઇંટ પણ પ્રાચીનકાળથી બાંધકામમાં વપરાય છે.જમીનમાંથી મળતી માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. માટીમાંથી બનતી લાલ ઇંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને ઢાળીને તેમાંથી લંબચોરસ ઇંટો બનાવાય છે. કાચી ઇંટને ૧૦૦૦ સેન્ટીગ્રેડ ગરમીમાં તપાવીને પકવાય છે. આ માટે મોટી ભઠ્ઠીઓ હોય છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળારંગની સિરામિક ઇંટ પણ બને છે. પરંતુ સાદી લાલ ઇંટોનો વ્યાપક ઉપયોગ થાય છે.ઇંટ સામાન્ય રીતે ૮ ઇંચ લાંબી, ૩.૫ ઇંચ પહોળી અને ૩ ઇંચ ઉચી હોય છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઇંટો જ બને છે. જમીનમાંથી માટી ખોદીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી મેળવવામાં આવે છે. પાવડર સ્વરૃપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવાય છે. તેમાંથી લંબચોરસ બિબા વડે ઇંટ ઘડાય છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલા તેને સૂર્યના તાપમાં સૂકવાય છે. ઇંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ  અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઇંટ બને છે.દીવાલ ચણવા માટે ઇંટોની આડી લાઇન ગોઠવાય છે. લાઇનમાં રહેલી બે ઇંટોનો સાંધો ઉપરની ઇંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઇંટ ગોઠવાય છે. પરિણામે દીવાલનું વજન દરેક ઇંટ ઉપર સરખાભાગે વહેંચાય છે. બધી ઇંટો એક સાથે ચોંટી રહે તે માટે તેની વચ્ચે સિમેન્ટ વગેરે મેળવીને મોર્ટાર પાથરવામાં આવે છે.

સનમાઇકા શું છે ?

  • ર્નિચરને આકર્ષક બનાવવામાં સનમાઇકા ઘણું ઉપયોગી છે. રંગબેરંગી,  સુંવાળા, વોટરપ્રુફ અને ઇધઇ ન લાગે તેવા આ પાટિયા રાસાયણિક પદાર્થોમાંથી બને છે તે કોઈ વૃક્ષના લાકડાના પાટિયા નથી. 
  • સનમાઇકા ફીર્મેલ્ડીહાઇડ અને મેલામાઇન નામના રસાયણને ગરમ કરી ઘટ્ટ બનાવી ઢાળીને સુંવાળી સપાટીવાળા પાટિયા બનાવાય છે. આ પદાર્થ બનાવતી કંપનીઓએ તેને સનમાઇકા અને ફોરમાઇકા જેવા નામ આપ્યા છે.
  • માઇકા એટલે અબરખ. તમે અબરખ જોયું હશે. ચમકતી સપાટી અને અર્ધપારદર્શક અબરખની પાતળી પતરી ઘણી ઉપયોગી છે. તે ખૂબ જ ગરમી સહન કરી શકે છે અને વિદ્યુતની અવાહક છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વોટર હિટર વગેરેમાં ઇન્સ્યુલેટર તરીકે તેનો ઉપયોગ થાય છે.
  • લેટિન ભાષામાં કીડી, ઉધઈ જેવા કિટકોને ફોરમાઇકા કહે છે. ફાર્મેલ્ડીહાઇલ્ડ કીડી અન ઉધઈનાશક છે એટલે સનમાઇકામાં ઉધઈ લાગતી નથી.

પેટ્રોલ વિશે આ જાણો છો ?

           પેટ્રોલ જમીનના પેટાળમાંથી મળતા ક્રૂડમાંથી મેળવાય છે. જમીનમાં સંગ્રહાયેલું ક્રુડ હજારો વર્ષ પહેલાના વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોમાંથી બનેલુ હોય છે. તેમાં અનેક પ્રકારના હાઇડ્રોકાર્બન દ્રવ્યો હોય છે. ક્રૂડનું શુદ્ધિકરણ કરીને તેમાંથી પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, મીણ વગેરે હજારો જાતના દ્રવ્યો મેળવવામાં આવે છે. આ બધા દ્રવ્યોને પેટ્રોલિયમ પેદાશ કહે છે. ગ્રીક ભાષામાં પેટ્રો એટલે ખડક અને ઇલિયમ એટલે તેલ એ બંને શબ્દો ભેગા મળીને પેટ્રોલિયમ શબ્દ બન્યો છે.

              પેટ્રોલમાં બૂટેન દ્રવ્ય હોય છે જેને કારણે તે ઉડ્ડયનશીલ છે. બૂટેન માઇનસ પાંચ ડિગ્રી સુધીના નીચા તાપમાને પણ વરાળ બનીને હવામાં ભળે છે. એટલે જ પેટ્રોલ પણ ખુલ્લી હવામાં રાખવાથી વરાળ બની ઉડી જાય છે. આ ગુણને કારણે તે જ્વલનશીલ બન્યું છે. એટલે વાહનો માટેનું ઉત્તમ ઇંધણ બન્યું છે.

પેટ્રોલિયમનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. પ્રાચીન બેબિલોનમાં ઓઇલના કૂવા પણ હતા. ચોથી સદીમાં ટીનમાં વાંચ વડે કૂવામાંથી ક્રુડ મેળવાતું જેનો દવા તરીકે ઉપયોગ થતો.

વીજળીનો ભંડાર બેટરી અને પાવર સેલ

         મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિકરમકડાં, ઘડિયાળો જેવા અનેક નાનાં સાધનો અને વાહનોમાં વીજળી પુરી પાડવા બેટરીનો ઉપયોગ થાય છે. બેટરી સાધનના પ્રમાણમાં નાની મોટી હોય છે. મોબાઈલમાં નાનકડી લંબચોરસ ડબી જેવી બેટરી હોય છે તેમાં રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી પેદા થાય છે. બેટરી રિચાર્જ પણ થઈ શકે છે. વીજળી માટે સેલ પણ ઉપયોગી થાય છે. સેલમાં પણ રાસાયણિક પ્રક્રિયાથી વીજળી મળે છે. સેલ રિચાર્જ થઈ શકતા નથી. તે ઉતરી જાય ત્યારે નકામા થઈ જાય છે.
તમને નવાઈ લાગશે પણ બેટરીનો ઉપયોગ બે હજાર વર્ષ પહેલા પણ થતો હતો. ઈરાકમાં ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયગાળાની  બેટરી મળી આવી હતી. આ બેટરી માટીના ઘડાના આકારની છે. આજે પણ  બગદાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. તેને બગદાદ  બેટરી કહે છે. પાંચ ઇંચ ઊંચી આ બેટરીમાં ખાટી દ્રાક્ષનો રસ ભરીને તેમાં તાંબાના બે સળિયા બોળી રાખીને વીજપ્રવાહ મેળવાતો.  આજે ઉપયોગમાં આવે છે તેવી બેટરીની શોધ ઈ.સ. ૧૮૦૦માં એલેસાન્ડ્રો વોલ્ટા નામના વિજ્ઞાાનીએ કરેલી.

વીજપ્રવાહ આપતી આધુનિક બેટરીમાં વિવિધ રસાયણોનો ઉપયોગ થાય છે. ઝીંક-મેંગેનિઝ બેટરી સૌથી વધુ કાર્યક્ષમ છે તે રેડિયો, કેમેરા, ટીવી જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઝીંક અને મરક્યુરી ઓક્સાઈડવાળી બેટરી વોકીટોકી, કેલ્ક્યૂલેટર જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઘડિયાળને સતત વીજપ્રવાહ જોઈએ તેમાં સિલ્વર ઓક્સાઈડની બેટરી વપરાય છે. લિથિયમ સલ્ફરની બેટરી બહુ ગરમ થતી નથી. સિલ્વર ઝિંકવાળી બેટરી વજનમાં હળવી અને વધુ વીજપ્રવાહ આપે છે. અવકાશના સંશોધનોમાં આ બેટરી વપરાય છે.