Monday, May 2, 2016

મકાનો બાંધવામાં વપરાતી ઇંટ વિશે આ જાણો છો ?

             મકાનની દીવાલ ચણવા માટે પથ્થર શ્રેષ્ઠ માધ્યમ છે  અને તે જમીનમાં મેળવીને સીધો જ ઉપયોગ કરી શકાય છે. પ્રાચીન મકાનો અને કિલ્લાઓ પથ્થર વડે જ બનેલા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઇપૂર્વકનું બનાવવા માટે ઇંટનો ઉપયોગ શરૃ થયો. માટીની બનેલી લંબચોરસ ઇંટ પણ પ્રાચીનકાળથી બાંધકામમાં વપરાય છે.જમીનમાંથી મળતી માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. માટીમાંથી બનતી લાલ ઇંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને ઢાળીને તેમાંથી લંબચોરસ ઇંટો બનાવાય છે. કાચી ઇંટને ૧૦૦૦ સેન્ટીગ્રેડ ગરમીમાં તપાવીને પકવાય છે. આ માટે મોટી ભઠ્ઠીઓ હોય છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળારંગની સિરામિક ઇંટ પણ બને છે. પરંતુ સાદી લાલ ઇંટોનો વ્યાપક ઉપયોગ થાય છે.ઇંટ સામાન્ય રીતે ૮ ઇંચ લાંબી, ૩.૫ ઇંચ પહોળી અને ૩ ઇંચ ઉચી હોય છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઇંટો જ બને છે. જમીનમાંથી માટી ખોદીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી મેળવવામાં આવે છે. પાવડર સ્વરૃપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવાય છે. તેમાંથી લંબચોરસ બિબા વડે ઇંટ ઘડાય છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલા તેને સૂર્યના તાપમાં સૂકવાય છે. ઇંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ  અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઇંટ બને છે.દીવાલ ચણવા માટે ઇંટોની આડી લાઇન ગોઠવાય છે. લાઇનમાં રહેલી બે ઇંટોનો સાંધો ઉપરની ઇંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઇંટ ગોઠવાય છે. પરિણામે દીવાલનું વજન દરેક ઇંટ ઉપર સરખાભાગે વહેંચાય છે. બધી ઇંટો એક સાથે ચોંટી રહે તે માટે તેની વચ્ચે સિમેન્ટ વગેરે મેળવીને મોર્ટાર પાથરવામાં આવે છે.

1 comment: